કવિ કલ્પનાની પાંખે તુ ઉડૅ છે.
સાગર તરે છે ને તુ તળીયે ડુબે છે.
અસત્યની સાથે સદા તુ લડે છે
દુઃખો જોઇ પરના તુ પોતે રડે છે
ઇશ્વરનો સંદેશ વાહક કવિ છે
કુદરતની મસ્તીનો ચાહક કવિ છે
ભલે કોઇ કહેતા કે પાગલ કવિ છે
દુનિયા છે પાછળ ને આગળ કવિ છે.
કવિ એ ખજાનાને ખુલા કર્યા
મણેક મોતીને ત્યા હિરા ભર્યા
કવિ ની મહત્તા જરા તો પિછાણો
લુટો ત્યારે ન કવિઓ આડા ફર્યા.
કવિ ની શબ્દશક્તિ હિમાલય ડગાવે
અખંડિત પ્રુથ્વીના ખંડો ધ્રુજાવે
કવિની કલમમા છે તાકાત એવી
પ્રભુને બોલાવે તો દોડિને આવે.
મીરાના કટોરા કોણે પચાવ્યા
મામેરા ભરવા કહો કોણ આવ્યા
નિર્ધન નરસૈયાએ હુંડી લખી
તેદી હુંડી ના નાણા કોણે ચુકાવ્યા.
પ્રકાશનો જેમ પ્રારંભ રવિ છે
જ્ઞાનનો તેમ આરંભ કવિ છે
માનો કે ન માનો એ મરજી તમારી
પણ આ સમાજનો સ્થંભ કવિ છે.
કવિના દુઃખો કોઇ પૂછવા ન આવ્યા
આસુડા પડ્યા એને કોઇ લૂછવા ન આવ્યા
કવિ ની દશા જોઇ જ્યારે દુઃખોએ
ત્યારે ખુદ દુઃખોની આંખોમા આસુડા આવ્યા.
દોલત નથી પણ દિલાવર કવિ છે
જ્ઞાનનો શાહ સોદાગર કવિ છે
સમાજને આપ્યુ એનુ મુલ ન માગ્યુ
આ દુનિયા નો મોટો તંવંગર કવિ છે.
કરજના નગારા ભલે એના શિર પર વાગે
કવિ બેકદર થી સદા દુર ભાગે
ભલે દુઃખ વેઠે અને પ્રાણ ત્યાગે
પણ સાચો કવિ કોઇ દી’ ભિખ ન માગે.
( ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા )
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment