રાગ :- કર મન ભજનનો વેપાર
શામળા એ રચી છે સરકાર,
રચી છે સરકાર એ જી એનો પામે ન કોઈપાર...શામળા એ....
સુરજ એનો સેનાપતિને ચાંદો છે સરદાર, મેઘરાજાને મંત્રી બનાવ્યા, પવન પહેરેદાર...શામળા એ....
એના રાજ્યમાં લાંચ કે રૂશવત કોઈ નથી લેનાર,
ચૂક પડે નહિ એવો ચાલે કાયમનો કારભાર...શામળા એ....
કાયદામાં નથી કદી કરતો ફોગટ ના ફેરફાર,
વાવ્યુ લણવું એવો સૌને આપી દીધો અધિકાર ...શામળા એ....
નવમહિના જેણે જાળવ્યા એનો લાગો ન લેતોલગાર,
દેહ ઘડીયો એના દાણ ન માગે ધાવણ નો દેનાર...શામળા એ....
પાણીનો કદી પૈસા ન માગે તેજનોય તલભાર, હવાની હક્ક શાઇ નથી, એના ભરીયા છે ભંડાર...શામળા એ....
અરજી કરે કોઈ આંસુડાથી ઉરનો છે ઉદાર,
ભૂલ કરી એનો ભાર ઉપાડી તારી દે ભવપાર...શામળા એ....
ઘડવૈયો પોતે ને ઘાટ જ પોતે, પોતે ભાંગણહાર,
ઝોકે ન જાતો રખોપામા, ઝાઝા કરીએ જુહાર...શામળા એ....
" આતમવાણી "
- ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા -
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો :-9824474306
No comments:
Post a Comment